જેતપુર.

જગજાહેર છે કે દોસ્તીનો સંબંધ સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ ક્યારેક મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ આ જમાનામાં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.

જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શનવાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા આજથી સોળ વર્ષ પહેલા તારીખ 26.3.2000 ના રોજ ભાવનગર નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ હર ઘડી ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા સ્થાનિક લોકો દ્વારા બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

સોળ-સોળ વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુ સુધી જોવા કે સાંભળવા મળ્યું નથી.

સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમ જ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે.

 

By Samir Parmar

samirparmar62@gmail.com