જેના ઘરમાં પ્રવેશની સાથે જ નીરવ શાંતિ પથરાઈ જાય… અસ્ત-વ્યસ્ત બધું સરખું થવા માંડે… ઘરના સભ્યોની એક બીજામાં કાનાફૂસી થવા માંડે…. હજી તો ઘરમાં પ્રવેશી તેની બેગ રાખતાની સાથે જ ઓફફફફનો શ્વાસ મોટેથી લેવાય. તેનો ચહેરો કોઇ ચિંતામાં હોય તેમ ગમગીન, આંખો સ્થિર બની ચારે તરફ ઘરના દીદારને જોતી હોય… કરડાતી મૂંછો ઉપર હાથ ફેરવતા ખુરશી ઉપર બેસે ત્યારે ફરજીયાત પૂછવા મજબૂર થવું પડે….”બધુ બરાબર છે ને?” અને એ હા પાડે એટલે હાશ થાય અને જીવમાં જીવ આવે… પોતાના સંતાનોને પણ આગળ કે પાછળથી બાથ ભીડીને ભેટવું હોય તો પણ વિચાર કરવો પડે.!! આવું ચિત્ર દરેક બાપનું હોય છે…!!

પરંતુ વાસ્તવમાં બાપના દીલમાં ડોકીયું કર્યું છે?? દિલમાં એકવાર ડોકિયું કરો તો જોવા મળે દિલ દરિયા જેવું..!! સંતાનોના સુખની ખાતર મોજશોખ ખાતર દરિયાના વમળોની સાથે બાથ ભીડી છે એણે.. ભરતી અને ઓટને છાવર્યા છે…!!

પિતા એટલે એક એવો શબ્દ જેમાં તમે ધારો તો આખું વિશ્વ આવી જાય. ઘરની એક એક ઈંટમાં તેના શ્વાસનો ધબકાર છે, એમનો ખૂન પસીનો છે, આખા ઘરની રોનક અને શાન છે, દરેકના ઘરની ધડકન છે અને આખાય ઘરની જાન છે, બધા જ સંબંધો એમનાથી અને એમનાથી જ બધાનો નાતો છે. પિતા એ દરેક પુત્ર કે પુત્રી માટે તેમની ઈજ્જત, શોહરત, સાહસ, અને માન છે, અને તેના સંતાનોને દરેક પરિસ્થિતિમાં હિંમત આપનારો એકમાત્ર સ્ત્રોત છે, અને પોતાના સંતાનો માટે વિશ્વાસનું શ્રદ્ધાકેન્દ્ર છે…

બાળવયે પિતાના પડખે જ તેના સંતાનો… પણ થોડા મોટા થાય એટલે પિતા એનાથી દૂર કેમ…?? શું આમાં વાંક સમાજનો હશે..? કદાચ સમાજે જે પિતાને ચીતર્યો છે તે તેનું કારણ હશે..! પિતાની જેમ મમ્મી પણ મોટી જ હોય છે ને.. તો પછી મમ્મીને “તું” અને પિતાને “તમે” કેમ.??? પિતા પર મર્યાદા નામનું આવરણ શું કામ ચઢાવાયું..?? મમ્મીને જીવનની બધીજ ખરીખોટી વાતો બિન્દાસ કરી શકાય… તો પિતાથી છુપાવવું શા માટે?? અંતે તો પિતા જ બધી મુશ્કેલીથી બહાર કાઢવા સક્ષમ હોય છે… માં તો પિતા સુધીનું માત્ર સંદેશાવાહક છે…!! તો પછી પિતાને પોતાની સુખ-દુ:ખની વાતો શા માટે ના કહેવી..? પિતા પણ એ બધું ઈચ્છતો જ હોય છે.. માત્ર જરૂર છે તો સમાજ નામના આવરણને હટાવવાની..!

કો’ક દી’ પિતાના વાત્સલ્યના દરિયામાં ડૂબકી તો મારી જોજો…. પછી જુઓ મજા…..!!!

#દરેકપિતાનેસમર્પિત

By Bhavya Jhala

bhumeejhala@gmail.com